વિટામીન-ડીની ઉણપથી હાડકા, માંસપેશિયામાં ખામી સર્જાય છે
- ઘરે બનાવેલા ઓરેન્જ જ્યુસમાં વિટામીન-ડીનું સારું પ્રમાણ હોય છે. તે ઉપરાંત ગાયનું દૂધ પીવાથી ઘણાં તત્વો મળી રહે છે. એમાં વિટામીન-ડીનો ય સમાવેશ થઈ જાય છે.
ભા રતમાં ૭૦થી ૯૦ ટકા લોકોમાં વિટામીન-ડીની ઉણપ હોવાનો ચોંકાવનારો અહેવાલ આવ્યો હતો. દેશમાં લગભગ ૮૦ કરોડ લોકોના શરીરમાં વિટામીન-ડીની ખામી છે. અહેવાલમાં તો ત્યાં સુધી દાવો થયો હતો કે દેશના ૮૮ ટકા શહેરીજનો વિટામીન-ડીની ખામીથી પીડાય છે. અહેવાલ પછી સહજ રીતે સવાલ એ થાય કે વિટામીન-ડીની ઉણપ હોય તો ખરેખર શરીરમાં કેવી તકલીફ થઈ શકે છે?
વિટામીન-ડીની ઉણપ હોય તો થાક વર્તાય. ઓફિસ કે ઘરકામમાં થોડી થોડી વારે થાકનો અનુભવ થાય. વાળ ખરતા હોય તો પણ વિટામીન-ડીની ઉણપ હોવાની શક્યતા છે. વિટામીન-ડીની ઉણપથી હાડકા અને માંસપેશિયામાં ખામી સર્જાય છે. કારણ કે વિટામીન-ડી કેલ્સિયમની કમીને પૂરી કરે છે અને કેલ્સિયમની ઉણપ હોય તો હાડકા-વાળને અસર થાય છે. ઘણી વખત કોઈ ઘાવ લાગ્યો હોય તો એમાં રૂઝ આવતી નથી. એની પાછળ પણ વિટામીન-ડીની કમી જવાબદાર હોય છે. લોહીની કોશિકાઓમાં ખામી સર્જાતી હોવાથી વારંવાર માંસપેશિયામાં કળતર થાય છે.
ભારતીયોના આહારમાં ચિંતાજનક રીતે પરિવર્તન આવ્યું હોવાથી વિટામીન-ડીની ઉણપ સર્જાવા લાગી છે. ધ લેન્સેટમાં વિટામીન-ડીની ઉણપના ઉપાયો અપાયા હતા. તે પ્રમાણે ઘરે બનાવેલા ઓરેન્જ જ્યુસમાં વિટામીન-ડીનું સારું પ્રમાણ હોય છે. તે ઉપરાંત ગાયનું દૂધ પીવાથી ઘણાં તત્વો મળી રહે છે. એમાં વિટામીન-ડીનો ય સમાવેશ થઈ જાય છે. દહીં-છાસનો ખોરાકમાં સમાવેશ થાય તો પણ વિટામીન-ડીની ખામી ભરપાઈ કરી શકાય છે.
વઘારમાં તમાલપત્રનો ઉપયોગ ડાયાબિટિસ નિયંત્રણમાં રાખવા સક્ષમ
'બે-લીફ' જેવું અંગ્રેજી નામ ધરાવતું આપણું તમાલપત્ર વઘારમાં વપરાતો એવો નાનકડો મસાલો છે, જે ન હોય તો પણ આમ કંઈ ખાસ ફરક વર્તાતો નથી. તેની હાજરીથી અમુક પ્રકારના વઘારમાં સ્વાદ ઉમેરાય છે ખરો, પરંતુ વઘારમાં તેની હાજરી અનિવાર્ય ગણાતી નથી. જોકે, વઘારની આ નાનકડી ચીજ શરીર માટે ખૂબ ગુણકારી હોવાનું સંશોધકોએ સ્વીકાર્યું છે. વિટામીન-એ, વિટામીન-સી, ફોલિડ એસિડ જેવા તત્વોની હાજરી તમાલપત્રમાં હોય છે. તે ઉપરાંત મિનરલ્સ પણ મળે છે. એ સિવાય ઘણાં સ્વાસ્થ્યવર્ધક ગુણો તમાલપત્રમાં જણાયા છે.
જર્નલ ઓફ બાયોકેમિકલ ન્યૂટ્રીશનમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે વઘારમાં તમાલપત્રનો ઉપયોગ કરવાથી એસિડિટી થતી નથી. વઘારમાં તમાલપત્રનો ઉપયોગ માત્ર સ્વાદ માટે જ ગુણકારી નથી, પરંતુ જઠર માટે પણ ખૂબ લાભદાયી છે. ભારતમાં તો તમાલપત્રને જડી-બૂટીનો દરજ્જો આપવામાં આવે છે. હવે વિદેશી સંશોધકો ય જાણે તેમાં સહમત થયા છે! એ અહેવાલમાં તો ત્યાં સુધી કહેવાયું હતું કે સપ્તાહમાં એટલિસ્ટ તમાલપત્રનો વઘારમાં બે-ત્રણ વખત ઉપયોગ કરવાથી ડાયાબિટિસ નિયંત્રણમાં રહે છે. ઈન્સુલિન ફંક્શનમાં સુધારો કરવામાં તમાલપત્ર મદદરૂપ બને છે.
From: