શું માનસિક બીમારીને લોકો સ્વીકારી કેમ નથી શકતા?
ચેતના-હિતેન્દ્ર ગાંધી
- જેમ અન્ય રોગીની સારવાર વર્ષોના સંશોધનો બાદ નક્કી કરવામાં આવતા ધારાધોરણથીજ થાય છે, તેવી જ રીતે માનસિક રોગીની સારવાર કરવામાં આવે છે
વ ર્ષોથી આપણે જોતાં આવીએ છીએ કે કોઈ વ્યક્તિનું વર્તન અથવા બોલવા ચાલવાનું યોગ્ય ના હોય અથવા તો વિચિત્ર લાગતું હોય તો તે વ્યક્તિને ''મેન્ટલ'' છે - એમ કહીને લોકો મશ્કરી કરતાં હોય છે. ''મેન્ટલ'' શબ્દ પાગલપણાંનો જાણે પર્યાય ધર્મ ગયો હોય તેમ લાગે છે. અધુરામાં પુરૂં બાકીનું કામ ફિલ્મઉદ્યોગ પુરૂં કરે છે. અમુક ફિલ્મમાં જ્યારે મેન્ટલ હોસ્પીટલ અથવા ગાંડપણના દષ્યો બતાવવાનાં હોય ત્યારે આપણે જોઈએ છીએ કે તેમાં માનસીક બિમારીથી પીડાતા વ્યક્તિનું હાડોહાડ અપમાન થાય છે - અને મશ્કરી કરવામાં આવે છે - પરિણામે પ્રેક્ષણગણ હાસ્યરસમાં તરબોળ થઈ જાય છે. ખુબ જ દુઃખની વાત તો એ છે કે વર્ષો પહેલાં ચાલી આવતી આ પ્રથા હજુ આજની તારીખમાં પણ જોવા મળે છે.
દા.ત. ''મેન્ટલ હે ક્યા'' નામની ફિલ્મના ટ્રેઈલરમાં મનોરોગીની ઉપેક્ષા કરવામાં આવી છે. મનોરોગીનો તિરસ્કાર કરવામાં આવ્યો છે. હકિકતમાં તાજેતરમાં જ નવો ''મેન્ટલ હેલ્થકેર'' કાયદો પસાર કરવામાં આવ્યો છે. જેમાં માનસિક બીમાર વ્યક્તિનું અપમાન કરવું ગુનો ગણવામાં આવ્યું છે.
શરીરની કોઈપણ બીમારી એ બીમારી જ છે. એ પછી માનસીક હોય કે શારિરીક. જેમ અન્ય રોગીની સારવાર વર્ષોના સંશોધનો બાદ નક્કી કરવામાં આવતા ધારાધોરણથીજ થાય છે, તેવી જ રીતે માનસિક રોગીની સારવાર કરવામાં આવે છે. મોટાભાગની માનસીક બીમારી સારવાર થકી મટી જતી હોય છે.
આ ઉપરાંત હજુપણ એ માન્યતા છે કે માનસીક બીમારી થવી ગુનો છે, પાપ છે, અને માનસીક બીમાર વ્યક્તિ અછુત છે. એવું પણ માનવામાં આવે છે કે દર્દી ઢોંગ કરે છે. તાજેતરનો જ એક કેસની ચર્ચા કરીએ.
''૩૦ વર્ષના આશિષ છેલ્લા ઘણા વર્ષોથી માનસીક બિમારીથી હેરાન થતો હતો. તેને સીઝોફેેનિયા નામની બિમારી હતી. કમનસીબે તેની સારવાર કરવામાં આવી ન હોતી. ફક્ત બાધા, દોરા-ધાગા, વિધિ કોઈ નડતર છે તેમ માનીને જાતજાતની વિધિ કરાવવામાં આવી હતી. સુખી ઘર હતું. ઉપરના માળે એક રૂમ આશિષ માટે ફાળવવામાં આવ્યો હતો. આખો રૂમ જેલ જેમ જ રાખ્યો હતો. આશિષને રૂમમાં વર્ષોથી બંધ રાખવામાં આવતો હતો. ખુબજ લાંબા સમયની બીમારી હોવાથી આશિષને પોતાનું કશુંજ ભાન રહેતું ન હોતું. રોજ એક જોડી કપડાં ફાડી નાંખતો હતો. બીજા દિવસે નવી જોડી પહેરાવવામાં આવતી હતી. જમવા માટે એક બારી જેવું રાખવામાં આવતું હતું. ત્યાં ડીશ મુકી દેવાથી બીજા રૂમમાં એક કુલર અને ટી.વી. હતાં જેનાથી દેખરેખ રાખનાર વ્યક્તિ તે ચાલુ બંધ કરતાં હતાં, ક્યારેક આશિષ બુમબરાડા પાડતો રાત્રે ગુસ્સામાં લોખંડની જાળી સાથે માથું અથડાવતો હતો.
ઘરની વ્યક્તિઓને પુછતાં જણાવ્યું હતુ કે આશિષ શુકનીયાળ છે. તેના જન્મ પછી ધંધામાં ખુબજ વિકાસ થયો છે. કોઈએ સલાહ આખી હતી કે આમાં સારવાર જેવું છે જ નહિ - આતો સાક્ષાત ભગવાનનો અવતાર છે, અમે બિમારી ગણતા નથી.
૨૧મી સદીમાં પણ આવા કિસ્સાઓ જોવા મળે છે. હકિકતમાં માનસીક બીમારીને અન્ય બીમારીની સમકક્ષ ગણવી જોઈએ. માનસીક રોગના નિષ્ણાતને બતાવવામાં કોઈ સુગ, શરમ કે સંકોચ રાખવો ના જોઈએ. જેટલી વહેલી સારવાર કરાવવામાં આવે તેટલું જ સારૂં થવાની શક્યતા વધી જાય છે. ખાસ કરીને ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલ વ્યક્તિઓ આ બાબતને સમજે અને પ્રેક્ષકોને સાચી માહિતી સાથે તો વધારે યોગ્ય ગણાશે.
From: https://www.gujaratsamachar.com/news/shatdal/shatdal-magazine-chetna-dr-hitendra-gandhi-30-november-2022