પળે પળે નવા રૂપ-રંગ ધારણ કરતી જિંદગીને પૂરેપૂરી માણો!
ગોચર-અગોચર-દેવેશ મહેતા
- મન અને પદાર્થ એકબીજા સાથે હમેશાં જોડાયેલા છે અને પારસ્પરિક અસર પામનારા છે. મગજ-મન અને ચૈતન્યની કામગીરી જાણવા હવે કેવળ મનોવિજ્ઞાન કે શરીર વિજ્ઞાન જ સંશોધનો નથી કરતું, ભૌતિક વિજ્ઞાન પણ તે કરી રહ્યું છે
આ જે સમયદેવ લઈને આવ્યા છે નૂતન વર્ષ. નૂતન વર્ષના નવપ્રભાતનો પ્રભાકર વરસાવી રહ્યો છે ઉન્મેષ, ઉમંગ અને ઉલ્લાસના સોનેરી કિરણો. આ જગતમાં સૌથી વધારે કંઈ કીમતી હોય તો તે છે સમય. સમય જ આપણને જીવનનો અવકાશ આપે છેકવિ પ્રિયકાંત મણિયાર કહે છે - 'હવે આ હાથ રહે ના હેમ ! મળ્યું સમયનું સોનું, પ્રથમ વાપર્યું ફાવે તેમ, રતી સરખું અવ રહ્યું, એનો ઘાટ ઘડાશે કેમ ? સમયનું સોનું હાથ લાગ્યું છે એનો ઉપયોગ કરી જીવનને સાફલ્ય ટાણું બનાવીએ. જીવન ઈશ્વરનું અમૂલ્ય વરદાન છે. એની પળેપળમાં આનંદનું અભિવર્ષણ છે. એણે બનાવેલા જગતના કણે કણમાં એની કલાનું ચિત્રણ છે. કુદરત એની કમનીય કવિતા છે.'
જીવન એટલે આપણા અસ્તિત્વની અસ્મિતા. ચેતનાના હિલોળા લેતા સમુદ્રમાં વિચાર અને સંકલ્પ, સંવદના અને ભાવનાના ઉછળતાં મોજાઓ. પ્રતિપળ ઉદ્ધાટિત થતાં અવનવા વિસ્મયોથી ભરેલી અનુભૂતિઓનો સાક્ષાત્કાર થતો રહે એ જ જીવન. કવિવર રવીન્દ્રનાથ ટાગોર કહે છે - ‘That
I exist is a perpetual surprise which is Life - હું અસ્તિત્વ ધરાવું છું તે અનવરત આશ્ચર્ય છે જે મારું જીવન છે.' સમય અસ્તિત્વ અવકાશમાં યાત્રા કરાવનારું વાહન છે. અસ્તિત્વ અને સમય બન્ને પરત્વે અહોભાવ અને અચરજ અનુભવી એના સાક્ષાત્કારનો આનંદ અને ધન્યતા પામીએ તો જ જીવન સાર્થક બને ! ટાગોર એમના એક કાવ્યમાં લખે છે -
- ‘His own mornings are new surprises to God - ઈશ્વરને પોતે જ બનાવેલું નવપ્રભાત નવીન નવાઈ જેવું લાગે છે.'
જિંદગી હમેશા પરિવર્તનના ઘોડા પર સવાર રહે છે. પળે પળે પરિવર્તન થતું રહે છે. 'સંસરતિ ઈતિ સંસાર ઃ જે સરી જાય છે એનું નામ સંસાર છે. બે બદલાતી પળોને જોડનારી જે સ્થિરતા છે તે આપણને સાતત્યનો બોધ કરાવે છે. તે સાતત્ય આપણને પરિવર્તનનું વિસ્મરણ કરાવી દે છે. જીવન પરિવર્તનનું સાતત્ય છે અને સાતત્યનું પરિવર્તન છે. જીવન કેલિડોસ્કોપ જેવું છે. તેના રૂપ-રંગ સતત બદલાતા જ રહે છે. રશિયન સાહિત્યકાર બોરિસ પાસ્તરનાક તેમની નવલકથા 'ડૉ. ઝીવાગો'માં લખે છે - - ‘Life
is the principle of self-renewal, It is constantly renewing, remaking, changing
and transfiguring itself - જીવન આત્મ- પુનર્પરિવર્તનનો સિદ્ધાંત છે. તે સતત નવું થતું રહે છે, પુનર્નિર્મિત બનતું રહે છે અને પોતાને રૂપાંતરિત કરતું રહે છે.' સોક્રેટીસના પુરોગામી ગ્રીક તત્વચિંતક હીરાક્લીટસે પણ જીવનની આ હકીકત રજૂ કરતાં લખેલું -
‘All is flux, nothing stays still બધું જ પરિવર્તનશીલ છે, કશું પણ સ્થિર રહેતું નથી.' તમે એકની એક નદીમાં બીજી વખત તમારા પગ મૂકી શકતા નથી. નદી એ સતત વહેતું જળ છે. તમે નદીના પાણીમાં એક પગ મૂક્યો ત્યારે જે જળ હતું તે બીજો પગ મૂકો ત્યારે બદલાઈ ગયું હોય છે. સમય બદલાય છે એની સાથે સ્થાન પણ બદલાય છે. ગુજરાતી કવિ મણિલાલ દેસાઈએ આ બાબત સરસ શબ્દોમાં રજૂ કરી છે -
'સરકી જાયે પલ,
કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ,
નહિ વર્ષામાં પૂર નહિ એ ગ્રીષ્મ મહીં શોષાય,
કોઈના સંગ-નિસંગની એને, કશી અસર નવ થાય,
જાયે તેડી પોઢેલાને એ નવે લોક, નવસ્થલ.'
મન અને પદાર્થ એકબીજા સાથે હમેશાં જોડાયેલા છે અને પારસ્પરિક અસર પામનારા છે. મગજ-મન અને ચૈતન્યની કામગીરી જાણવા હવે કેવળ મનોવિજ્ઞાન કે શરીર વિજ્ઞાન જ સંશોધનો નથી કરતું, ભૌતિક વિજ્ઞાન પણ તે કરી રહ્યું છે. ચૈતન્યને આપણે અનુભવથી ઓળખીએ છીએ. ચૈતન્ય એ અનુભવની એવી સ્થિતિ છે જેમાં આપણે ઈન્દ્રિયાનુભૂતિ કરીએ છીએ, બાહ્ય જગત વિશે જાગરૂતા કે સભાનતા અનુભવીએ છીએ અને વિચારી શકીએ છીએ, કલ્પના કરી શકીએ છીએ અને કાર્ય કરી શકીએ છીએ. આ ઉપરથી આપણે આવી જાગરૂક્તાના અભાવને અચેતનતા તરીકે ઓળખીએ છીએ. એટલે કે આપણે જ્યારે અચેતન સ્થિતિમાં હોઈએ છીએ ત્યારે આપણે કોઈ અનુભવ કરી શકતા નથી. એનો અર્થ એ થયો કે આપણને થતાં બધા અનુભવો વિચારથી અને હું ના અનુભવથી એટલે કે સ્વવિષયક જ્ઞાનથી થાય છે. આ આપણી અંદર રહેલો 'અનુભોક્તા' એટલે કે અનુભવ કરનાર અને કરાવનારના જ્ઞાનથી આપણે મન વિશે કંઈક જાણી શકીએ એવું બને છે.
આ તબક્કે આપણે ક્વૉન્ટમ ફિઝિકસના નોબેલપ્રાઈઝ વિજેતા ભૌતિકવિજ્ઞાની વર્નર હાઈઝેનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત
(Principle of Uncertainty) ને પણ સમજવો પડે. તેમણે સાબિત કર્યું છે કે પરમાણુની ભીતર ચાલતી અને આપણને દેખાતી બધી પ્રક્રિયાઓ અનિશ્ચિત છે. ઈલેકટ્રોન કણ રૂપે દેખાશે કે તરંગ રૂપે તે જરા પણ નિશ્ચિત નથી. એટલું જ નહીં તે જણાવે છે કે 'દ્રષ્ટા' તરીકે આપણે જે પ્રત્યક્ષીકરણ કરીએ છીએ તે 'દ્રશ્ય' તરીકે જે છે તેને બદલી કાઢે છે -
‘The observor alters the observed.’ આ બાબતને સમજાવતાં પ્રોફેસર એન્ડાર્ડે તેમના પુસ્તક 'એન એપ્રોચ ટુ મોડર્ન ફિઝિક્સ'માં લખે છે - ‘Observation
means interference with what we are observing - આપણે જે નિહાળી રહ્યા છીએ એમાં થતી દરમિયાનગિરી એટલે જ દ્રશ્ય.'
૧૯૨૨ નું ફિઝિક્સનું નોબલ પ્રાઈઝ પ્રાપ્ત કરનારા ડેનિશ ભૌતિકવિજ્ઞાની મિલ્સ બોહર કોમ્પ્લિમેન્ટરી સિદ્ધાંત સમજાવતાં કહે છે આપણે જ્યારે મન અને ચેતના વિશે જાણવા માગીએ છીએ ત્યારે મન અનુભવ અને અનુભોક્તા વચ્ચેના સંબંધની આવશ્યક્તા ઊભી કરે છે. આ વખતે મુશ્કેલી એ થાય છે કે અવલોકન અને અનુભવની પ્રક્રિયા મનને બદલી નાંખતી હોવાથી મન પોતે પોતાનો સાચો અનુભવ કરી શકતું નથી. આ રીતે દ્રષ્ટા તરીકેની આપણી ભૂમિકા અને સંસ્કારિત મનનું પ્રત્યક્ષીકરણ વાસ્તવમાં જે છે તેને જુદી રીતે જ વ્યક્ત કરે છે.
પળે પળે નવા રૂપ-રંગ ધારણ કરતી જિંદગીને પૂરેપૂરી માણો. પળ સરકી જાય એ પહેલાં એને ભરપૂર જીવી લો. સમયના શ્વેત પટ પર ઊભરતાં રંગીન દ્રશ્યોને નીરખો. સુખ-દુઃખના ખટમીઠાં રસોને આસ્વાદો. હિન્દી ભાષાના કવિ સુમિત્રાનંદન પંત કહે છે - 'પ્રભુકા અનંત વરદાન તુમ્હેં, ઉપભોગ કરો પ્રતિક્ષણ નવ નવ, ક્યા કમી તુમ્હેં હૈ ત્રિભુવન મેં, યદિ બને રહ સકો તુમ માનવ.'